પંકજ ત્રિપાઠીની આગામી ફિલ્મ ‘મૈં અટલ હૂં’ 19 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેયીના જીવન આધારિત આ ફિલ્મમાં વાજપેયીજીના રાજકીય જીવનને દર્શાવવામાં આવ્યું છે. તેમાં ગાંધીજીની હત્યાથી માંડીને કારગિલ યુદ્ધ સુધીની ઐતિહાસિક ઘટનાઓ અને વાજપેયીજીના રાજકીય સંઘર્ષને રજૂ કરાયો છે.
તાજેતરમાં રજૂ થયેલા પિલ્મના ટ્રેલરને જોતાં જણાય છે કે, બાબરી મસ્જિદ ધ્વંસ, પોખરણ અણુ ધડાકા જેવી ઘટનાઓ પણ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે.
ટ્રેલરની શરૂઆતમાં અટલબિહારી વાજપેયી તરીકે પંકજ ત્રિપાઠી દેખાય છે, જે ફિલ્મ જોઈ રહ્યા છે. તેઓ પોતાના મિત્ર સાથે લોકોની માનસિકતા અને મીડિયાની ચર્ચા કરે છે. અચાનક તેમની ચર્ચામાં ગાંધીજીની હત્યાનો વિષય આવે છે. વાજપેયીજીની સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય રહી ચૂકેલા નથ્થુરામ ગોડ્સેએ આચરેલી હિંસાની વાજપેયીજી ટીકા કરે છે.
બાદમાં રાજકીય ફલક પર કટોકટીના સમયે વાજપેયીજીનું મહત્ત્વ દર્શાવાય છે. તેઓ ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીનો જે રીતે મુકાબલો કરે છે તેની કહાની છે. પોખરણ અણુ ધડાકા માટે પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. અબ્દુલ કલામે અને વાજપેયીજીને અભિનંદન આપ્યા હતા. રવિ જાધવના ડાયરેક્શનમાં બનેલી ‘મૈં અટલ હૂં’માં પિયુષ મિશ્રા, રાજા રમેશકુમાર સેવક, દયાશંકર પાંડેય, પ્રમોદ પાઠક, પાયલ કપૂર નાયર, હર્ષદ કુમાર, પ્રસન્ના કેતકર, હરેશ ખેત્રી, પૌલા મેકગ્લીન અને ગૌરી સુખતંતકાર મહત્ત્વના રોલમાં છે. ફિલ્મમાં વાજપેયીજીના જીવનની સાથે બદલાતા રાજકીય સમીકરણો અને દેશના મતદારોની માનસિકતા અંગે પણ ચર્ચા કરવામાં આવી છે.